NEET મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: નીટનું પેપર લીક થવાના કેસમાં CBI તપાસ કરવી કે કેમ તે અંગે કોર્ટમાં 8 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
- 14 Jun, 2024
NEET પરીક્ષાના પરિણામના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલામાં સીબીઆઈની તપાસની માંગ કરતી અરજીને ફગાવી દેવાથી ઈન્કાર કર્યો છે. કોર્ટ આ અરજી પર વધુ સુનાવણી 8 જુલાઈના રોજ કરશે. જોકે કોર્ટે એ વાતને ફરીથી કહી છે કે નીટ યુજીનું કાઉન્સિલિંગ નિર્ધારિત સમયે ચાલુ રહેશે. તેની પર કોઈ રોક લાગશે નહીં. સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષાઓને લઈને અન્ય અરજીઓ પર પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિવિધ હાઈકોર્ટમાં નીટને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અરજીઓ પર પક્ષોને નોટિસ ઈસ્યુ કરી છે. જેમાં સમગ્ર દેશની હાઈકોર્ટોને અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. નીટ યુજી 2024 સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ 8 જુલાઈના રોજ સુનાવણી કરશે.
NEET-UG મામલામાં ગુરુવારે વિદ્યાર્થીઓની મોટી જીત થઈ હતી. સુપ્રીમ કોર્ટે પરીક્ષામાં અનિયમિતતાને જોતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ને 1,563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સને રદ કરીને ફરીથી NEET પરીક્ષા યોજવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું હતું કે તમારી વાત NTA(નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ માની લીધી છે. તે ગ્રેસ માર્કને હટાવી રહી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે માત્ર તે જ વિદ્યાર્થીઓ સામેલ થશે, જેમને ગ્રેસ માર્ક્સ મળ્યાં હતા. આ સિવાય NTAએ આ વિદ્યાર્થીઓને એક ઓપ્શન પણ આપ્યો છે. તેઓ ક્યાં તો રી-નીટમાં સામેલ થઈ શકે છે અથવા તો પછી ગ્રેસ વગરના માર્ક્સની માર્કશીટની સાથે નીટ યુજીના કાઉન્સિલિંગમાં સામેલ થઈ શકે છે.
NTAએ કહ્યું હતું કે 23 જૂને બીજી વખત પરીક્ષા થશે, તે પછીથી કાઉન્સિલિંગ થશે. પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષાના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં ગ્રેસ માર્ક્સ, રી-એક્ઝામ અને પરીક્ષા કેન્સલનાં મુદ્દાઓને ટાંકીને કરાયેલી અરજીઓ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ અરજીમાં અલખ પાંડેએ કોર્ટને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોર્ટની નજર હેઠળ જ એક એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવે, જે નીટ 2024ની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામની તપાસ કરે.